You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુએનએ કહ્યું, 'અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હુમલામાં મહિલાઓ અને બાળકો સહીત 28 નાગરિકોનાં મૃત્યુ' – ન્યૂઝ અપડેટ
સંયુક્ત રાષ્ટ્રસંઘના અફઘાનિસ્તાન મિશને કહ્યું છે કે પાકિસ્તાને રવિવારે સરહદ પાસે આવેલા અફઘાન પ્રાંતોમાં હવાઈ હુમલા કર્યા હતા અને ત્યાં સૈનિકો મોકલીને સૈન્ય અભિયાન ચલાવ્યું હતું. જેમાં ઓછામાં ઓછા 28 સામાન્ય નાગરિકોનાં મૃત્યુ થયાં છે.
યુએનએએમએના જણાવ્યા પ્રમાણે, આ હુમલામાં 49 લોકો ઘાયલ થયા છે. મૃતકો અને ઘાયલોમાં મહિલાઓ અને બાળકો સામેલ છે.
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે કહ્યું છે કે આ હુમલામાં સામાન્ય નાગિરકોનાં ઘરોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તેણે આ હુમલાને 'કાયરતાપૂર્ણ કાર્યવાહી' ગણાવી અને તેને 'અત્યાચાર' ગણાવ્યો.
ત્યાં, પાકિસ્તાને કહ્યું કે તેણે અફઘાનિસ્તાનમાં પક્તિયા, પક્તિકા અને કુનાર પ્રાંતોમાં ચરમપંથી ઠેકાણાંને નિશાન બનાવ્યાં.
બંને પાડોશી દેશોએ ગત વર્ષે ઑક્ટોબરમાં ઘણાં સપ્તાહો સુધી ચાલેલી ઝડપ બાદ યુદ્ધવિરામ પર સહમતિ વ્યક્ત કરી હતી. પરંતુ આ સમજૂતી બાદમાં તૂટી ગઈ.
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાને કરેલા હવાઈ હુમલા પર ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યું?
ભારતે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હવાઈ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને આ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કર્યું છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "ભારત અફઘાન ક્ષેત્રમાં પાકિસ્તાનના હવાઈ હુમલાની ઘોર નિંદા કરે છે, જેમાં ઘણા સામાન્ય નાગરિકો માર્યા ગયા છે. તેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે."
ભારતે કહ્યું, "પાકિસ્તાનની આ ખુલ્લી આક્રામક કાર્યવાહી અફઘાનિસ્તાનની સંપ્રભુતા પર હુમલો છે અને ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે સીધું જોખમ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ હુમલા પાકિસ્તાનના 'લાપરવાહ વ્યવહાર'ને દેખાડે છે અને તે પોતાની આંતરિક નિષ્ફળતાઓથી ધ્યાન ભટકાવવા માટે આવાં કામોનો સહારો લે છે.
આ ઉપરાતં ભારતે અફઘાનિસ્તાનની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા પ્રત્યે પોતાના અતૂટ સમર્થનને ફરી વ્યક્ત કર્યું છે.
પાકિસ્તાની સેનાઓએ રવિવાર અને સોમવારની રાતે અફઘાનિસ્તાનમાં જમીની અને હવાઈ અભિયાન ચલાવવાની વાત કરી હતી. પાકિસ્તાન સરકારના જણાવ્યા પ્રમાણે, હુમલામાં 29 ચરમપંથી માર્યા ગયા હતા.
ત્યાં, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારનો દાવો છે કે આ હુમલામાં ડઝનો નાગરિકો માર્યા ગયા, જેમાં બાળકો અને મહિલાઓ સામેલ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન