You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાને કુવૈત અને બહેરીનમાં આવેલાં અમેરિકી સૈન્ય ઠેકાણાં પર હુમલો કરવાનો દાવો કર્યો – ન્યૂઝ અપડેટ
બીબીસી ફારસી સેવાના જણાવ્યા અનુસાર, ઈરાનની ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ કૉર્પ્સ (આઈઆરજીસી)એ જણાવ્યું છે કે તેણે રવિવાર સવારે 'કુવૈતમાં સ્થિત અલી અલ-સલેમ ઍરબેઝ અને બહેરીનમાં અમેરિકાના પાંચમા બેડાના મુખ્યાલય સાથે સંબંધિત આઠ ઠેકાણાંને નિશાન બનાવ્યાં' છે.
આઈઆરજીસીના અનુસાર, તેણે આ હુમલા એક સંયુક્ત અભિયાન હેઠળ કર્યા હતા. આ દરમિયાન 'બૅલિસ્ટિક મિસાઇલ અને ડ્રૉન' છોડવામાં આવ્યાં હતાં.
નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલા તાજેતરમાં થયેલા અમેરિકી હુમલાઓના જવાબમાં કરવામાં આવ્યા હતા. અમેરિકી અધિકારીઓએ અત્યાર સુધી કોઈપણ નુકસાન અથવા જાનહાનિ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
આઈઆરજીસીનું એવું પણ કહેવું છે કે અમેરિકાએ અગાઉ આઈઆરજીસી નૌકાદળ અને એક જહાજના આમના-સામના થવાના બહાને ઈરાનની પાંચ તટીય ચોકીઓ પર હુમલો કર્યો હતો.
નિવેદનમાં આ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે ઇસ્લામાબાદ કરારના આધારે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવરને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે અને આઈઆરજીસી હવે એવાં જહાજો સામે વધુ કડક કાર્યવાહી કરશે જેને તે 'ઉલ્લંઘનકર્તા' માને છે.
આઈઆરજીસીએ ચેતવણી આપી છે કે યુદ્ધવિરામનું ઉલ્લંઘન થવાથી ઇસ્લામાબાદ કરારની આગળની પ્રક્રિયાઓ અટકી શકે છે.
આ પહેલા બીબીસી ફારસી સેવાને અહેવાલ આપ્યો હતો કે કુવૈતની સેનાએ મિસાઇલ અને ડ્રૉન હુમલાઓની પુષ્ટિ કરી છે.
કુવૈતી સેનાના જનરલ સ્ટાફે જણાવ્યું કે દેશની ઍર ડિફેન્સ સિસ્ટમ 'દુશ્મન' મિસાઇલ અને ડ્રૉન હુમલાઓનો સામનો કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાએ ઈરાન પર કર્યો નવો હુમલો, જણાવ્યું આ કારણ
હોર્મુઝ સામુદ્રધુનીના પનામાના ધ્વજવાળા એક જહાજ પર શનિવારે ડ્રૉન હુમલા બાદ અમેરિકાએ ઈરાન પર નવા હુમલા કર્યા છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ) એ જણાવ્યું કે તેણે ઈરાનમાં ઘણાં ઠેકાણાંને નિશાન બનાવ્યાં. આ કાર્યવાહી વેપારી જહાજો વિરુદ્ધ ચાલી રહેલી 'સતત આક્રમક પ્રવૃત્તિઓ'ના સીધા જવાબ તરીકે કરવામાં આવી.
સેન્ટકૉમે જે ઠેકાણાંને નિશાન બનાવ્યાંની વાત કરી છે, તેમાં સૈન્ય સાધનસામગ્રી, કૉમ્યુનિકેશન સિસ્ટમ, ઍર ડિફેન્સ અને ડ્રૉન સ્ટોરેજ સાથે જોડાયેલાં ઠેકાણાંનો સમાવેશ થાય છે.
સેન્ટકૉમે એક નિવેદનમાં કહ્યું, "ઈરાનને યુદ્ધવિરામ કરારનું સન્માન કરવાની તક આપવામાં આવી હતી, પરંતુ તેણે એવું કર્યું નહીં. તેની સેનાએ એકતરફી હુમલાખોર ડ્રૉન દ્વારા એમ/ટી કિકૂ પર હુમલો કર્યો."
એમ/ટી કિકૂ પનામાના ધ્વજવાળું એક ટૅન્કર છે. સેન્ટકૉમના જણાવ્યા મુજબ, આ ટૅન્કર બે મિલિયન બેરલથી વધુ ક્રૂડઑઈલ લઈને હોર્મુઝ સામુદ્રધુની નજીકથી પસાર થઈ રહ્યું હતું.
સેન્ટકૉમે એ પણ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી વેપારી જહાજોની અવરજવર ચાલુ છે.
ઈરાને અત્યાર સુધી આ તાજેતરના હુમલાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી.
પાકિસ્તાન : કરાચીમાં રેન્જર્સ કાર્યાલય નજીક વિસ્ફોટ, અનેક લોકો ઘાયલ
પાકિસ્તાનના કરાચીના ગુલિસ્તાન-એ-જૌહર વિસ્તારમાં સ્થિત રેન્જર્સ કાર્યાલય નજીક થયેલા વિસ્ફોટ અને ગોળીબારની ઘટનામાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે.
આ ઘટના શનિવારે રાત્રે ગુલિસ્તાન-એ-જૌહરના બ્લૉક-પાંચમાં સ્થિત સચલ રેન્જર્સ ભવન નજીક ઘટી હતી. પ્રત્યક્ષદર્શીઓએ બીબીસીને જણાવ્યું કે સૌપ્રથમ વિસ્ફોટનો અવાજ સંભળાયો, ત્યારબાદ વચ્ચે-વચ્ચે ગોળીબાર થયો.
વિસ્ફોટના પ્રકાર અને જાનમાલના નુકસાન વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. અધિકારીઓનું કહેવું છે કે ઘટનાની તપાસ ચાલી રહી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના બાદ આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તપાસ એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કરી રહી છે.
રૅસ્ક્યૂ 1122ના પ્રવક્તા અનુસાર, કેન્દ્રીય કમાન્ડ અને કંટ્રોલરૂમને માહિતી મળતાની સાથે જ રાહત-બચાવ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
રૅસ્ક્યૂ ટીમના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકો ઘાયલ થયા છે.
ઘટનાસ્થળે હાજર રૅસ્ક્યૂ 1122ના સીઈઓ ડૉ. આબિદ જલાલે બીબીસીને જણાવ્યું કે ગ્રૅનેડ સૌપ્રથમ રેન્જર્સના કાર્યાલયમાં ફેંકવામાં આવ્યો હતો, ત્યારબાદથી ગોળીબાર ચાલુ છે.
તેમણે શનિવાર સાંજે જણાવ્યું કે અત્યાર સુધીમાં બે રેન્જર્સના કર્મચારીઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ ગોળીબાર હજુ પણ ચાલુ છે. સાવચેતીના ભાગરૂપે કોઈને પણ ઘટનાસ્થળે જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.
સિંધ સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સિંધના મુખ્ય મંત્રી સૈયદ મુરાદ અલી શાહે પોલીસ પાસેથી ઘટનાનો વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.
પ્રવક્તાએ જણાવ્યું કે સિંધના મુખ્ય મંત્રીએ નિર્દેશ આપ્યો છે કે ઘટના વિશે તાત્કાલિક તપાસ થાય.
આતંકવાદી જૂથ જમાત-ઉલ-અહરાર સાથે સંકળાયેલા એક જૂથે આ હુમલાની જવાબદારી લીધી છે. જૂથે એવો પણ દાવો કર્યો છે કે હુમલો હજુ પણ ચાલુ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન