You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓમાનની નજીક અમેરિકન મિસાઇલ હુમલામાં ત્રણ ભારતીય નાવિકોનાં મૃત્યુ
પૉર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ગુરુવારે જણાવ્યું કે ઓમાનની ખાડીમાં એક ઑઇલ ટૅન્કર પર અમેરિકન સૈન્ય હુમલા બાદ ગુમ થયેલા ત્રણ ભારતીય નાવિકોના મૃતદેહ મળ્યા છે.
આ ઘટના બાદ ભારતે અમેરિકાના ઉપમિશન પ્રમુખને બોલાવ્યા હતા અને હુમલા વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો હતો.
સર્બાનંદ સોનોવાલે ઍક્સ પોસ્ટમાં લખ્યું છે, "પલાઉના ધ્વજવાળી એમટી સેટેબેલો શિપ પર થયેલી દુખદ ઘટના વિશે જાણીને દુખ થયું છે. દુખની વાત એ છે કે પહેલાં ગુમ ગણાવાઈ રહેલા ત્રણ ભારતીય નાવિકોના મૃતદેહ મળી આવ્યા છે અને તેમની ઓળખની પુષ્ટિ થઈ ચૂકી છે."
"આ અમારા માટે પૂરી ન શકાય એવી ખોટ છે. આ કઠિન સમયમાં મોદી સરકાર શોકગ્રસ્ત પરિવારો સાથે મજબૂતીથી ઊભી છે અને મૃતકોના પરિવારજનોને દરેક શક્ય મદદ માટે પ્રતિબદ્ધ છે. મેં અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે બચાવી લેવાયેલા ચાલક દળના સભ્યોની તાત્કાલિક વાપસી સુનિશ્ચિત કરવામાં આવે અને દિવંગત નાવિકોના પાર્થિવ દેહ તેમના અંતિમ સંસ્કાર માટે જલદી ભારત લાવવામાં આવે."
આ પહેલાં ફૉરવર્ડ સીમેન યુનિયન ઑફ ઇન્ડિયાના મહાસચિવ મનોજ યાદવે જણાવ્યું હતું કે, "મૃતકોની ઓળખ ડેક કૅડેટ આદિત્ય શર્મા અને એન્જિન ફિટર શિવાનંદ ચૌરસિયા તરીકે થઈ છે."
ચીફ એન્જિનિયર પટનાલા સુરેશ પહેલાં ગુમ થયા હોવાનું જણાવાઈ રહ્યું હતું, પરંતુ તેમનો મૃતદેહ મળી આવ્યો છે.
શિવાનંદ ચૌરસિયા ઉત્તર પ્રદેશના દેવરિયાના છે.
ભારતના વિદેશ મંત્રાલયે આ હુમલાની નિંદા કરી છે, પરંતુ પોતાના નિવેદનમાં અમેરિકાનું નામ સુધ્ધાં નહોતું લીધું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, સોમવારના રોજ પલાઉના ધ્વજવાળા ઑઇલ ટૅન્કર એમટી મૅરીવેક્સ પર અમેરિકન હુમલાથી ઊલટું ભારતે બુધવારે થયેલા હુમલાની ખૂલીને નિંદા કરી.
ભારતમાં અમેરિકન રાજદૂત સર્જિયો ગોર કઝાખસ્તાનના પ્રવાસ પર હતા, તેથી અમેરિકન દૂતાવાસના કાર્યવાહક પ્રમુખને બોલાવાયા હતા.
મૅરિવેક્સ પર હાજર 24 ભારતીય નાવિકોને પણ ઓમાનના સૈન્યે સુરક્ષિત બચાવી લીધા હતા. અમેરિકા આ જહાજ પર પહેલાંથી જ પ્રતિબંધ લાદી ચૂક્યું હતું.
ભારતે સખત વિરોધ નોંધાવ્યો
સેટેબેલો જહાજ પર રહેલા 21 ભારતીય નાવિકોને બચાવી લેવાયા છે. આ જહાજ અમેરિકન સૈન્ય તરફથી છોડવામાં આવેલા 'પ્રિસિઝન મ્યૂનિશન્સ'માં સપડાઈ ગયા હતા.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો કે પલાઉના ધ્વજવાળા ઑઇલ ટૅન્કર સેટેબેલોએ ઈરાન પાસેથી ઑઇલ લઈ જતી વખતે નાકાબંધીનું ઉલ્લંઘન કર્યું હતું.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે ઍક્સ પર જાહેર કરેલા નિવેદનમાં કહ્યું, "અમેરિકન દળો તફથી વારંવાર ચેતવણી અપાયા છતાં જહાજના ચાલક દળે તેના પર ધ્યાન ન આપ્યું. એ બાદ એક અમેરિકન વિમાને જહાજના એન્જિનને નિશાન બનાવતા હથિયારો વડે હુમલો કર્યો."
અમેરિકન સૈન્યે આ કાર્યવાહીનો એક વીડિયો પણ જાહેર કર્યો છે.
આ ઘટનાએ એક વાર ફરી ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષ અને સમુદ્ર વેપાર માર્ગોની સુરક્ષા અંગે ગંભીર સવાલ ઊભા કરી દીધા છે, ખાસ કરીને ત્યારે જ્યારે આ હુમલામાં ભારતીય નાવિકોનાં મૃત્યુ થયાં છે.
ઑઇલ ટૅન્કર સેટેબેલો પર થયેલા હુમલા બાદ ભારતે અમેરિકા સમક્ષ કઠોર વિરોધ વ્યક્ત કર્યો છે.
ભારત સરકારે નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસના ઉપપ્રમુખ જેસન મિક્સને બોલાવ્યા અને આ ઘટના અંગે વિરોધ વ્યક્ત કર્યો.
આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે માત્ર બે દિવસ પહેલાં જ ઓમાનના સાગરતટ પાસે અમેરિકન દળોએ અન્ય એક ઑઇલ ટૅન્કર મૅરિવેક્સને નિશાન બનાવ્યું હતું. તેમાંથી 24 ભારતીય નાવિકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા.
ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારની ઘટનાની નિંદા કરતાં કહ્યું, "ઓમાનસ્થિત ભારતીય દૂતાવાસ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. શોધખોળ અને બચાવ અભિયાન માટે ઓમાની અધિકારીઓ સાથે સક્રિય તાલમેલ જાળવી રહ્યું છે."
સમુદ્ર સિક્રેટ વેબસાઇટ લૉયડ્સ લિસ્ટ અનુસાર, સેટેબેલો એવાં ઘણાં જહાજોમાં સામેલ હતું, જે હાલના દિવસોમાં ઓમાનના દુક્મ બંદર પાસે રોકાયેલાં હતાં અને કથિતપણે અમેરિકન નૌસેનાની દેખરેખમાં હતું.
આ પહેલાં યુનાઇટેડ કિંગડમ મેરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સે એક ઍલર્ટ જાહેર કરીને જણાવ્યું હતું કે ઓમાનના સોહરથી લગભગ 20 સમુદ્રી માઇલ ઉત્તરપૂર્વમાં એક ટૅન્કરના એન્જિન રૂમમાં આગ લાગી ગઈ છે અને સ્થાનિક અધિકારી ચાલક દળને કાઢવામાં સહાય કરી રહ્યા છે.
ઍલર્ટ અનુસાર, જહાજ પર એક વ્યક્તિનું મૃત્ય થઈ ગયું હતું અને બે અન્ય ગુમ ગણાવાઈ રહ્યા હતા.
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે ક્ષેત્રમાં કારોબારી જહાજો પર સતત થઈ રહેલા હુમલા ઘેરી ચિંતાનો વિષય છે.
ભારતે ભારપૂર્વક કહ્યું કે ક્ષેત્રમાં કારોબારી જહાજો અને સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ. આંતરરાષ્ટ્રીય કાયદાને અનુરૂપ સમુદ્રી માર્ગો પર સ્વતંત્ર અને નિર્બાધ અવરજવર જલદી બહાલ થવી જોઈએ.
ઈરાન અને અમેરિકા વચ્ચે લશ્કરી સંઘર્ષનો ભય વધ્યો
જહાજોની દેખરેખ રાખી રહેલી વેબસાઇટો અનુસાર, સેટેબેલે પહેલાં પણ ચીન જઈ ચૂક્યું હતું. તેણે માર્ચ અને એપ્રિલમાં એક બે વખત ચીનનો પ્રવાસ ખેડ્યો હતો.
એપ્રિલના અંતથી મેની શરૂઆત સુધી તેણે લિયાનયુંગાંગ બંદર પર માલ ઉતાર્યો હતો અને 12 મેના રોજ સિંગાપુર રવાના થયું હતું.
13 એપ્રિલના રોજ અમેરિકાએ ઈરાની બંદરોની નાકાબંધી શરૂ કરી હતી. ત્યારે તહેરાને હોર્મુઝની સામુદ્રધુનીથી જહાજોની અવરજવર પર પ્રતિબંધ અને નિયંત્રણ વધુ કડક બનાવી દીધા હતા.
આ ઘટનાએ ખાડી ક્ષેત્રમાં વધતી રહેલા સૈન્ય તણાવ, સમુદ્રી વેપારની સુરક્ષા અને વિદેશી સંઘર્ષોમાં ફસાયેલા ભારતીય નાવિકોની સુરક્ષા અંગે નવી ચિંતા પેદા કરી છે.
આ દરમિયાન ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઓછા થવાના કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા. અમેરિકાએ ઈરાન પર ફરીથી હુમલા કરવાનું શરૂ કરી દીધું છે.
ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ઈરાન શાંતિ સમાધાન પર સહી કરવામાં 'બહુ વધુ સમય' લઈ રહ્યું છે અને 'અમેરિકાને મૂર્ખ બનાવી રહ્યું છે.'
આ યુદ્ધ જ્યારે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર સૈન્ય હુમલા કર્યા ત્યારથી શરૂ થયું હતું. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતાનું મૃત્યુ થઈ ગયું હતું.
આના જવાબમાં ઈરાને ઇઝરાયલ અને અમેરિકાના સહયોગી ખાડી દેશો પર મિસાઇલ અને ડ્રોન હુમલા શરૂ કર્યા.
ટૂંક સમયમાં જ સંઘર્ષ ઝડપથી આખા ક્ષેત્રમાં ફેલાઈ ગયું અને માર્ચમાં લેબનોન પણ તેમાં ઝપટાઈ ગયું.
એપ્રિલ માસમાં અમેરિકા અને ઈરાન યુદ્ધવિરામ પર સંમત થયા હતા, જેને શરૂઆતમાં બે અઠવાડિયાં માટે લાગુ કરવામાં આવ્યું હતું.
જોકે, સતત આરોપ-પ્રત્યારોપ, નવા હુમલા અને વધતા અવિશ્વાસે આ યુદ્ધવિરામને અત્યંત નાજુક બનાવી દીધું છે, જેના કારણે ક્ષેત્રમાં ફરીથી મોટી સૈન્ય અથડામણની આશંકા જળવાયેલી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન