જેતપર : ખેતરમાં વીજપોલ મામલે સરકારે વળતર વધારવાની જાહેરાત તો કરી પરંતુ આંદોલનકારી ખેડૂતો ઝૂકવા કેમ તૈયાર નથી?

આંદોલનકારી ખેડૂતો જેતપર : ખેતરમાં વીજપોલ મામલે સરકારે વળતર વધારવાની જાહેરાત તો કરી પરંતુ આંદોલનકારી ખેડૂતો ઝૂકવા કેમ તૈયાર નથી?

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ખેતરોમાં વીજથાંભલા નાખવાના વિરોધમાં ગુજરાતમાં છેલ્લા 16 દિવસથી ખેડૂતોના આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે. હવે આ મુદ્દે કૃષિમંત્રી જિતુ વાઘાણીએ શુક્રવારે મોટી જાહેરાત કરી હતી. તેમણે ખેડૂતોને વર્તમાન જમીનના ભાવના બમણા ભાવ ચૂકવવાની તથા આખું વળતર એકસાથે જ ચૂકવવાની જાહેરાત કરી હતી.

આ જાહેરાત પર પ્રતિક્રિયા આપતા જેતપરમાં ગુજરાત ખેડૂત આંદોલન સમિતિ સાથે જોડાયેલા નેહુલ અમૃતિયાએ કહ્યું કે હજુ સુધી રાજ્ય સરકારે જાહેર કરેલો પરિપત્ર મળ્યો નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે સરકારનો પરિપત્ર મળ્યા પછી ગુજરાતના તમામ ખેડૂતો અભ્યાસ કરશે અને સાથે મળીને ખેડૂતો નક્કી કરશે કે આગળ શું કરવું? જ્યાં સુધી પરિપત્રની નકલ ન મળે ત્યાં સુધી ઉપવાસ છાવણી ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 17 દિવસથી અહીં ખેડૂતોનું ઉપવાસ આંદોલન યથાવત્ છે.

બીબીસીના સહયોગી રાજેશ આંબલિયાએ આપેલી માહિતી અનુસાર, ખેડૂતોની કમિટીએ શનિવારે કહ્યું હતું કે તેમને પત્ર મળશે, પછી તેઓ તેનો અભ્યાસ કરીને પ્રેસ કૉન્ફરન્સ કરશે. જોકે રવિવારે પ્રેસ કૉન્ફરન્સમાં ખેડૂતોએ કહ્યું કે આંદોલન હજુ ચાલુ જ રહેશે.

આ આંદોલનના સભ્ય નિલેશ એરવાડિયાએ વાટાઘાટો માટે પૈસા લેવાના પર આરોપ અંગે પ્રેસ કૉન્ફરન્સમાં પૂછાયેલા પ્રશ્ન પર કહ્યું કે "આક્ષેપ તો કઈ પણ કરી શકે. આંદોલન તોડવાના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. મને પણ લોભ-લાલચ, ધાક-ધમકીઓ આપવામાં આવી છે. આક્ષેપ કરવો એ કોઈની ઇચ્છાની વાત છે, સાબિત કરવું મહત્ત્વનું હોય છે."

તેમણે આગળ કહ્યું કે આ આંદોલન તોડવાના અનેક પ્રયાસો થઈ રહ્યાં છે પણ ગુજરાતના ખેડૂતો જાગી ગયા છે, કોઈ લોભ-લાલચ, રાજનીતિમાં પડ્યા વગર પોતાના હક, અધિકાર અને ન્યાયની વાત કરશે અને અમારી લડત અવિરત ચાલુ રહશે.

તેમણે કહ્યું કે અજાણ્યા લોકો આવીને ધમકી આપે છે, લોકો ખેડૂતોના સ્વાંગમાં સેલ્ફી લેવા આવે છે અને ધમકીઓ આપે છે. આંદોલનમાં આવું થતું હોય છે.

ઉપવાસસ્થળે ખાવા-પીવાના આક્ષેપ પર નિલેશ એરવાડિયાએ કહ્યું કે મેડિકલ ટીમ સરકારે નિયુક્ત કરી છે અને દર ત્રણથી ચાર કલાકે મેડિકલ તપાસ કરે છે. જેમને પણ શંકા હોય એ અહીંયાથી અમારા રિપોર્ટ લઈ શકે છે.

સરકારે વીજપોલના વળતર મામલે શું જાહેરાત કરી હતી?

જીતુ વાઘાણી જેતપર : ખેતરમાં વીજપોલ મામલે સરકારે વળતર વધારવાની જાહેરાત તો કરી પરંતુ આંદોલનકારી ખેડૂતો ઝૂકવા કેમ તૈયાર નથી?

ઇમેજ સ્રોત, Jitu Vaghani/FB

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત સરકારના મંત્રીઓ જિતુ વાઘાણી અને ઋષિકેશ પટેલે શુક્રવારે આ મુદ્દે પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી.

જિતુ વાઘાણીએ કહ્યું હતું કે, "અત્યાર સુધી ખેડૂતોને જંત્રીના બમણા ભાવ ચૂકવવામાં આવતા હતા. હવે જમીનના માર્કેટ રેટ (બજારકિંમત)ના બમણા ભાવ ચૂકવવામાં આવશે. આ ખેડૂત હિતલક્ષી નિર્ણય છે."

"અત્યાર સુધી વીજપાયાના વાસ્તવિક માપ અનુસાર જ વળતર મળતું હતું. હવે તેની આજુબાજુ વધારાનું એક મીટર ગણવામાં આવશે અને એ પ્રમાણે વળતર આપવામાં આવશે."

સરકારે જમીનની બજારકિંમત નક્કી કરવા કમિટી બનાવવાની જાહેરાત પણ કરી છે.

જમીનનું વૅલ્યુએશન (મૂલ્યાંકન) પણ ખેડૂતના વૅલ્યુઅર તરફથી, વીજકંપનીના વૅલ્યુઅર તરફથી અને કલેક્ટર તરફથી થશે તથા ત્યારબાદ ત્રણેય વચ્ચે સામંજસ્ય બેસાડીને આ નિર્ણય કરવામાં આવશે.

આ સિવાય માર્કેટ રેટ કમિટી (એમ.આર.સી.)માં જિલ્લા કલેક્ટર અધ્યક્ષસ્થાને રહેશે. કમિટીમાં ખેડૂતો તરફથી એક પ્રતિનિધિ તથા વીજકંપની તરફથી એક પ્રતિનિધિ રહેશે.

આ ઉપરાંત, જો કલેક્ટરને જરૂર જણાય તો અન્ય બે પ્રતિનિધિઓની નિમણૂક કરાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ખેડૂતોને એકસાથે જ બધું વળતર મળી જશે, હપ્તામાં ચૂકવણી નહીં થાય.

સતત 17 દિવસથી ખેડૂતો આમરણાંત ઉપવાસ પર

જેતપરમાં ખેડૂતોનું આંદોલન

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC

રાજ્યભરના ખેડૂતો પોતાના ખેતરમાં નંખાઈ રહેલા વીજથાંભલાનો છેલ્લા કેટલાક સમયથી વિરોધ કરી રહ્યા છે. છેલ્લા 17 દિવસથી મોરબીના જેતપર ગામે ખેડૂતો આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે.

આ પહેલાં તેમણે ગાંધીનગર સુધી ટ્રૅક્ટર રેલી પણ યોજી હતી અને પોતાની માગણી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.

જેતપરમાં ખેડૂતો અદાણી ગ્રૂપની 'હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ' નામની કંપની દ્વારા તેમની જમીનમાં વીજળીના થાંભલા ઊભા કરવાની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે.

આશરે 300 કિલોમીટર લાંબી આ લાઇન કચ્છમાં પાકિસ્તાન સરહદની નજીક ખાવડામાં સૂર્યપ્રકાશ અને પવનની મદદથી વીજળીનું ઉત્પાદન કરવા માટે આકાર લઈ રહેલા હાઇબ્રિડ રિન્યુએબલ ઍનર્જી પાર્કમાં ઉત્પન્ન થનારી 30 ગિગાવૉટ વીજળીમાંથી 7 ગિગાવૉટ વીજળીનું ખાવડાથી મોરબી જિલ્લાના હળવદ સુધી વહન કરવા માટે ઊભી કરાઈ રહી છે.

કેન્દ્ર સરકારની માલિકીની પાવરગ્રિડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડની પેટા કંપની 'પાવરગ્રિડ વટામણ ટ્રાન્સમિશન લિમિટેડ' હળવદથી અમદાવાદના વટામણ સુધી આશરે 130 કિલોમીટર લાંબી ટ્રાન્સમિશન લાઇન ઊભી કરી 7 ગિગાવૉટ વીજળીનું વહન કરવા માટેની લાઇન ઊભી કરી રહી છે.

આ લાઇન મોરબીની પૂર્વે આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાંથી પસાર થાય છે. કોંઢના ખેડૂતો પણ લગભગ એક મહિનાથી આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે.

વિરોધ કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે આ કંપનીઓને કારણે તેમની જમીનના ભાવ ઘટી રહ્યા છે અને તેમની જમીન નકામી બની રહી છે.

ખેડૂતો ટાવરનું માસિક ભાડું અથવા તો ટાવર દીઠ સીધા બે કરોડ રૂપિયા પણ માગી રહ્યા છે. આ સાથે જ ખેડૂતો વળતરની પૉલિસી (નીતિ) અંગે પણ સ્પષ્ટીકરણ માગી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન