શેખ હસીનાની પ્રેસ કૉન્ફરન્સથી ભારત સામે બાંગ્લાદેશમાં ગુસ્સો, શું કહ્યું - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEEAFP via Getty Image
બાંગ્લાદેશે પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને ભારતમાં મીડિયા સાથે સીધી વાત કરવાની પરવાનગી આપવા પર વાંધો ઉઠાવ્યો છે.
બાંગ્લાદેશ સરકારે કહ્યું કે, "તે કાર્યક્રમ મારફતે શેખ હસીના અને તેમના સહયોગીઓએ બાંગ્લાદેશી રાજ્ય અને દેશના લોકોની મજાક ઉડાવી છે."
એક વર્ચુઅલ પ્રેસ કૉન્ફરન્સમાં બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટ કૅપ્ટન શાકિબ અલ હસન દેખાયા બાદ તેમના ઘર પર બુધવારે રાત્રે હુમલો થયાનો દાવો કરવામાં આવ્યો છે.
બાંગ્લાદેશની આવામી લીગે ઍક્સ પર નિવેદનમાં કહ્યું કે, "બાંગ્લાદેશના જાણીતા ક્રિકેટ આઇકન શાકિબ અલ હસનના ઘરે પેટ્રોલ બૉમ્બથી એક ભયાનક હુમલો થયો છે. આ હુમલો તે પ્રેસ કૉન્ફરન્સના કેટલાક કલાકો પછી થયો જેમાં વિશ્વ પ્રસિદ્ધ સ્ટાર ક્રિકેટરે સન્માનિત પાર્ટી પ્રમુખ શેખ હસીનાની સાથે ભાગ લીધો હતો."
આવામી લીગના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પ્રેસ કૉન્ફરન્સ પહેલાં બીએનપી, ઇસ્લામી જમાત અને એનસીપીએ સાર્વજનિક રૂપથી રાષ્ટ્રીય મીડિયા સંસ્થાનોને ચેતવણી આપી હતી કે જો તેઓ પ્રેસ કૉન્ફરન્સ સાથે સંકળાયેલા રિપોર્ટ પ્રસિદ્ધ કર્યા તો તેમની વિરુદ્ધ ન્યાયપાલિકાનો ઉપયોગ કરીને કેસ નોંધાવશે."
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, "સરકારે પહેલાં જ આ કાર્યક્રમને બાંગ્લાદેશ- ભારત દ્વિપક્ષીય સંબંધોના પુનર્નિમાણ પર પડનાર અસરને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ઢાકા આ સાર્વજનિક કાર્યક્રમને અનુમતિ આપવા પર સખત વાંધો ઉઠાવે છે."
બુધવાર સાંજે શેખ હસીનાએ દિલ્હીના ફૉરેન કૉરસ્પૉન્ડન્ટ્સ ક્લબ ઑફ સાઉથ એશિયા તરફથી આયોજિત પ્રેસ કૉન્ફરન્સને વર્ચુઅલી સંબોધિત કરી હતી.
તેમણે ફરી એલાન કર્યું કે તેઓ બાંગ્લાદેશ પાછાં ફરશે. તેમણે કહ્યું કે તેઓ ડિસેમ્બર સુધી પાછાં ફરશે પરંતુ કોઈ નક્કી તારીખ ન જણાવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આના કેટલાક સમય પછી રાત્રે લગભગ 11 વાગ્યે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના ફેસબુક પર એક નિવેદન પોસ્ટ કરવામાં આવ્યું જેમાં કહેવામાં આવ્યું કે, "ભારતની ધરતી પર શેખ હસીનાની પ્રેસ કૉન્ફરન્સ ત્યારે થઈ જ્યારે બાંગ્લાદેશની જનતા જુલાઈ ક્રાંતિની બીજી વર્ષગાંઠ ઉજવી રહી છે. આ બાંગ્લાદેશની સંપ્રભુતા પર હુમલો છે અને જુલાઈ ક્રાન્તિના શહીદોનું અપમાન છે."
નિવેદનમાં શેખ હસીનાના પ્રત્યાર્પણને લઈને પણ હતાશા વ્યક્ત કરી છે.
આમાં કહેવામાં આવ્યું છે કે, "અફસોસની વાત છે કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે 2013માં થયેલી પ્રત્યાર્પણ સંધિ હેઠળ દોષિત અપરાધી (શેખ) હસીનાને પાછાં મોકલવા માટે બાંગ્લાદેશ તરફથી અનેક વખત અનુરોધ પર ભારત સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી."
આનાથી ઊલ્ટું, કોઈ પણ બહાનાથી તેમને સાર્વજનિક રૂપથી મીડિયા સાથે વાતચીતનો મોકો આપવો આ દેશના લોકોની ભાવનાઓને આહત કરે છે અને બાંગ્લાદેશ તથા ભારત વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધોના નિર્માણ માટે ઘણું નુકસાન પહોંચાડી શકે છે."
આની પહેલાં ગયા મંગળવારે પત્રકારોએ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલ પાસે આ પ્રેસ કૉન્ફરન્સ પર પ્રતિક્રિયા માગી હતી.
તેમણે કહ્યું કે, "તે કાર્યક્રમનું આયોજન એક ખાનગી સંસ્થા કરી રહી છે. ભારત સરકારનો તેની સાથે કોઈ સંબંધ નથી. અહીં વ્યક્ત કરવામાં આવલો કોઈ પણ વિચાર અથવા નિવેદનનું સમર્થન ભારત સરકાર નથી કરતી અને અમારો તેમની સાથે કોઈ સંબંધ નથી."
ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય ઉમાશંકરસિંહનું નિધન

ઇમેજ સ્રોત, Facebook/@umashankarsinghballia
ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના એકમાત્ર ધારાસભ્ય ઉમાશંકરસિંહનું બુધવારે રાત્રે નિધન થયું છે.
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, બલિયા જિલ્લાના રસડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઉમાશંકરસિંહની ઉંમર 55 વર્ષ હતી. તેઓ લાંબા સમયથી બ્રેન ટ્યુમરથી પીડિત હતા. તેમની સારવાર દિલ્હીની એક ખાનગી હૉસ્પિટલમાં ચાલી રહી હતી, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
તેમના નિધન પર મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, બીએસપી પ્રમુખ માયાવતી તેમજ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
ઉમાશંકરસિંહે પોતાના જાહેર જીવનની શરૂઆત વિદ્યાર્થી રાજકારણથી કરી હતી. વર્ષ 1990-91 દરમિયાન તેઓ બલિયાની સતીશચંદ્ર કૉલેજના વિદ્યાર્થી સંઘના મહાસચિવ તરીકે ચૂંટાયા હતા.
તેઓ પ્રથમ વખત 2012માં રસડા વિધાનસભા બેઠક પરથી જીત મેળવીને વિધાનસભામાં પહોંચ્યા હતા. ત્યાર બાદ 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીઓમાં પણ તેમણે સતત જીત મેળવી હતી.
કૉમનવેલ્થ ધ્વજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કરાયો

ઇમેજ સ્રોત, gujarat information department
ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ 2026ના ડેલિગેશન તેમજ ગુજરાતના ઍથ્લીટ્સ અને પૅરા-ઍથલીટ્સ દ્વારા કૅબિનેટ બેઠકમાં કૉમનવેલ્થ ધ્વજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કરાયો હતો.
હવે આગામી કૉમનવેલ્થ ગેમ્સ સુધી આ ધ્વજ ગુજરાતમાં જ રહેશે.
આ સમયે ગ્લાસગો ખાતે આયોજિત કૉમનવેલ્થ ગેમ્સ 2026માં પ્રતિનિધિત્વ કરનારા પૅરા ખેલાડી રાકેશ ભટ્ટ અને રોહિત મજગુલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પૅરા ટેબલ ટેનિસ ખેલાડી સોનલ પટેલ પણ હાજર રહ્યાં હતાં.
નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે વર્ષ 2030ની કૉમનવેલ્થ ગેમ્સનું અમદાવાદ ખાતે સફળ આયોજન થાય તે માટે 'ટીમ ગુજરાત' સંપૂર્ણ તૈયારીઓ સાથે આગળ વધી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગ્લાસગો કૉમનવેલ્થનું સમાપન થતાં કૉમનવેલ્થ ગેમ્સ ધ્વજ આગામી 2030માં યજમાન રાજ્ય તરીકે નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીને ગ્લાસગોમાં સોંપવામાં આવ્યો હતો.
આ કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રૉન્ઝ સાથે કુલ 39 મેડલ્સ મેળવીને પૉઇન્ટ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























