You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પને અમેરિકાની સુપ્રીમ કોર્ટનો ઝાટકો, જન્મસિદ્ધ નાગરિકતાનો અધિકાર સીમિત કરવાનો આદેશ રદ – ન્યૂઝ અપડેટ
અમેરિકાની સુપ્રીમ કોર્ટે મંગળવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મસિદ્ધ નાગરિકતાના અધિકારને સીમિત કરવાનો આદેશ રદ કરી દીધો છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળમાં પહેલા જ દિવસે એક મહત્ત્વનો આદેશ જારી કર્યો હતો.
જેમાં કહેવાયું હતું કે અમેરિકામાં ગેરકાયદે કે અસ્થાયી રીતે રહેતાં માતાપિતાથી પેદાં થયેલાં બાળકો અમેરિકાના જન્મજાત નાગરિકો નહીં કહેવાય.
ટ્રમ્પના આ આદેશ પર પહેલા નીચલી અદાલતોએ રોક લગાવી અને હવે સુપ્રીમ કોર્ટે પણ 6-3ના ચુકાદામાં જન્મસિદ્ધ નાગરિકતાને યથાવત્ રાખી છે.
આ ચુકાદો મુખ્ય ન્યાયાધીશ જૉન રૉબર્ટ્સે આપ્યો છે. તેમણે કહ્યું, "જે બાળકોનાં માતાપિતા અમેરિકામાં ગેરકાયદે કે અસ્થાયી રીતે છે, તે પણ અમેરિકાના સંવિદાધન પ્રમાણે જન્મથી નાગરિક છે."
ઉલ્લેખનીય છે કે અમેરિકા એ 30 દેશોમાં સામેલ છે જે પોતાને ત્યાં જન્મેલી તમામ વ્યક્તિઓને આરોઆપ નાગરિકતા આપે છે.
પીએમ મોદીએ ઈરાની રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી વાત, શું વાતચીત થઈ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ફોન પર વાતચીત કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા ઍક્સ પર તેની જાણકારી આપી છે.
તેમણે લખ્યું, "પશ્ચિમ એશિયામાં હાલની ઘટનાઓ મામલે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉક્ટર મસૂદ પેઝેશ્કિયાન સાથે વાતચીત થઈ. વાતચીતમાં થયેલી પ્રગતિનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરાવી કે સતત પ્રયાસોથી આ વિસ્તારમાં સ્થાયી શાંતિ આવશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીએમ મોદીએ જણાવ્યું કે તેમણે ભારત અને દુનિયા માટે હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવરની આઝાદીના મહત્ત્વ પર ફરી ભાર મૂક્યો.
ભારતમાં ઈરાની દૂતાવાસે પણ આ વાતચીત મામલે જાણકારી આપી છે. ઈરાની દૂતાવાસે ઍક્સ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું, "રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને મંગળવારે બપોરે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી. રાષ્ટ્રપતિએ બ્રિક્સ ઊર્જા મંત્રીઓની બેઠકનું સફળ આયોજનની સરાહના કરી અને આશા વ્યક્ત કરી કે બ્રિક્સ જેવા બહુપક્ષી મંચો પર ઈરાન અને ભારત વચ્ચે સહયોગ વધુ મજબૂત થશે."
ઈરાની દૂવાવાસ પ્રમાણે પેઝેશ્કિયાને કહ્યું, "બંને દેશોના સંબંધો ઍતિહાસિક અને પરસ્પર સન્માન પર આધારિત છે. રાજનીતિક, આર્થિક, વ્યાપાર, ટ્રાન્ઝિટ અને આંતરરાષ્ટ્રિય મામલે સહયોગ વધારવાની અપાર સંભાવનાઓ છે. તેથી સારો સમન્વય સ્થાપિત કરીને ઉપલબ્ધ ક્ષમતાઓનો પૂરો ઉપયોગ કરી દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે નવા રસ્તા શોધવા જરૂરી છે."
તેમણે કહ્યું કે ઈરાન અને ભારત વચ્ચે ઘણા ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સમાન વિચાર છે. ખાસ બહુપક્ષીય સંગઠનો અને મંચો પર. તેમના જણાવ્યા પ્રમાણે આ સમાનતા બંને દેશો વચ્ચે રણનીતિક સહયોગ અને વ્યાપક સંબંધોને વધુ મજબૂત કરવાનો આધાર બની શકે છે.
ઈરાની દૂતાવાસે જણાવ્યું છે કે વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને યુદ્ધવિરામ અને સંઘર્ષ સમાપ્ત કરવા માટે થયેલી સમજૂતીનો ઉલ્લેખ પણ કર્યો.
તેમણે કહ્યું, "ઈરાન પોતાના દાયિત્વનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે અને આશા કરે છે કે બીજો પક્ષ પણ સમજૂતીની શરતોનું ઇમાનદારી અને જવાબદારીથી પાલન કરે. જેથી ક્ષેત્રમાં સ્થાયી શાંતિ, સ્થિરતા ને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય."
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન