ગુજરાતમાં ચોમાસું ક્યારથી જામશે, કયા જિલ્લામાં પડશે વરસાદ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં પાછલા અમુક દિવસથી કેટલાક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જોકે, હજુ સુધી રાજ્યમાં ચોમાસું વિધિવત્ પ્રવેશ્યું નથી.

નોંધનીય છે કે રાજ્ય તરફ આગળ વધી રહેલા ચોમાસાની પ્રગતિ ધીમી પડ્યા અંગે હવામાન એજન્સીઓએ વાત કરી છે, તેમજ ફરી ચોમાસું ક્યારે સક્રિય બનશે એ અંગે પણ માહિતી શૅર કરાઈ છે.

સામાન્ય રીતે 15 જૂનની આસપાસ રાજ્યમાં ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વખત આ તારીખ આગળ વધીને 30 જૂનની આસપાસ સુધી જઈ શકે છે.

ભારતના હવામાન વિભાગે પોતાની તાજેતરની આગાહીમાં ગુજરાત તરફ આગળ વધતા ચોમાસાની આગેકૂચ અને રાજ્યમાં વરસાદની શક્યતા અંગે માહિતી અપાઈ છે.

કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?

20 જૂનના રોજ 12 વાગ્યે અપડેટ કરાયેલા બુલેટિનમાં આપેલી માહિતી મુજબ 21 જૂનના રોજ રાજ્યમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ અને બોટાદ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

આ સિવાય, રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આ દિવસે શુષ્ક હવામાન રહેશે તેવી શક્યતા છે.

આગાહી પ્રમાણે, 22 જૂનના રોજ રાજ્યમાં ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. તેમજ, આ સિવાયના રાજ્યના બાકીના જિલ્લામાં આ દિવસે શુષ્ક હવામાન રહેશે તેવી શક્યતા છે.

23 જૂનના રોજ રાજ્યમાં ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ અને બોટાદ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ સિવાયના રાજ્યના બાકીના જિલ્લામાં આ દિવસે શુષ્ક હવામાન રહેશે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે 20 જૂનના રોજ જાહેર કરેલા બુલેટિનની માહિતી પ્રમાણે નૈઋત્ય ચોમાસું આગામી 23 જૂન સુધી મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના વધુ ભાગો સુધી આગળ વધે તે માટેની સાનુકૂળ સ્થિતિ છે.

ગુજરાતમાં વરસાદી ઍક્ટિવિટી ક્યારે વધી શકે?

ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદ પડ્યા બાદ શનિવારે ફરીથી વરસાદની ગતિવિધિ સાવ ધીમી પડી જવાની આગાહી હતી.

સવાર અને રાત દરમિયાન ગુજરાત પર જોવા મળતાં વાદળો હવે ગુજરાત પરથી હઠી ગયાં છે.

હવામાન વિભાગની પ્રમાણે, 23 જૂનની આસપાસ ચોમાસું મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગળ વધે તેવી શક્યતા છે.

આનો અર્થ એ છે કે ચોમાસું આ તારીખથી મજબૂત બનવાની સંભાવના છે. ઉપરાંત 23-24 જૂન સુધી મુંબઈના વિસ્તારો પર વરસાદી ગતિવિધિ વધવાની સંભાવના છે અને ભારે વરસાદની શરૂઆત થશે.

જોકે, આપણે ત્યાં ગુજરાતમાં વરસાદી ગતિવિધિમાં વધારો થશે, પરંતુ સમગ્ર ગુજરાતમાં આ વધારો નહીં થાય.

પરંતુ આપણે ત્યાં લગભગ 27-28 જૂનથી વરસાદ વધવાની શરૂઆત થશે, જોકે, હજુ સુધી ગુજરાત પર ચોમાસું ક્યારે પહોંચશે એ માટેની કોઈ એક તારીખ જાહેર નથી કરાઈ. જોકે, જૂનના અંત અને જુલાઈના પ્રારંભમાં રાજ્યમાં ચોમાસું જામે આવી શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન