મોહન ભાગવતના 'મુસ્લિમો' અંગેના નિવેદન પર ઓવૈસીએ શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Raj K Raj/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, એઆઇએમઆઇએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આરએસએસની કેટલીક વાતો દુનિયા માટે હોય છે અને કેટલીક તેના પોતાના સભ્યો માટે (ફાઇલ તસવીર)
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

એઆઇએમઆઇએમ પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ન્યૂયૉર્ક ખાતે આપેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે શનિવારના રોજ ન્યૂયૉર્કમાં એક સંમેલનમાં કહ્યું કે જે હિંદુ એવું માને છે કે મુસ્લિમોને 'ભારતમાંથી બહાર કાઢી મૂકવા જોઈએ,' એ હિંદુ ન રહી શકે.

ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું કે આ આરએસએસની જૂની યુક્તિ છે, અમુક વાતો વિશ્વ માટે હોય છે અને કેટલીક વાતો પોતાના સભ્યો માટે.

ઓવૈસીએ એક્સ પર લખ્યું, "આરએસએસના સંસ્થાપક હેડગેવારના જીવનચરિત્રમાં બતાવાયું છે કે તેમણે કૉંગ્રેસથી અંતર એટલા માટે જાળવ્યું કારણ કે ગાંધીજી હિંદુ-મુસ્લિમ એકતા પર કામ કરતા હતા. તેમજ, ગોલવલકરે 1940માં કહ્યું હતું કે આરએસએસ એક ધ્વજ, એક નેતા અને એક વિચારાધારાથી પ્રેરિત છે."

તેમણે લખ્યું, "ગોલવલકરના પુસ્તક બંચ ઑફ થૉટ્સમાં ઇન્ટરનલ થ્રેટ્સ નામનો એક લાંબો અધ્યાય છે, જેમાં ભારતના મુસ્લિમ અને ખ્રિસ્તી નાગરિકોને ક્રમશ: પ્રથમ અને બીજા ક્રમનો ખતરો ગણાવાયા છે."

ઓવૈસીએ દાવો કર્યો, "આરએસએસની વિચારધારા અંતર્ગત યુસીસીના નામે મુસ્લિમો પર હિંદુ કાયદો લાગુ કરાઈ રહ્યો છે. ખ્રિસ્તીઓને કઠોર ધર્મપરિવર્તનવિરોધી કાયદાના નામે નિશાન બનાવાઈ રહ્યા છે. યુએપીએ જેવા કાયદાના ગંભીર દુરુપયોગને પણ ન ભૂલવું જોઈએ."

ઓવૈસીએ લખ્યું, "ભાગવતને મારી અપીલ છે કે તેઓ સાવરકર, હેડગેવાર, ગોલવલકર વગેરેની ઝેરી રચનાઓના અંશ જ વાંચે, પછી લોકોને નક્કી કરવા દે કે તેઓ આરએસએસ વિશે શું વિચારે છે."

મોહન ભાગવતના હિંદુ-મુસ્લિમ એકતા અંગેના નિવેદન પર ભાજપે શું કહ્યું?

ભારતીય જનતા પાર્ટી, શાહનવાઝ હુસૈન, બીબીસી ગુજરાતી, આરએસએસ, મોહન ભાગવત

ઇમેજ સ્રોત, Santosh Kumar/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, શાહનવાઝ હુસૈને કહ્યું, "હિંદુ અને મુસ્લિમ હંમેશાં સાથે રહેતા આવ્યા છે. ન તો સંઘ અને ન જ ભાજપે ક્યારેય એવું વિચાર્યું છે કે બંને સાથે રહી શકતા નથી."

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે હિંદુ-મુસ્લિમ એકતા અંગે આપેલા નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈને પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું, "સંઘ પ્રમુખે ખૂબ મહત્ત્વની વાત કહી છે. કેટલાક સંકુચિત વિચારધારાવાળા લોકો માને છે કે ભારત મુસ્લિમો વિના ચાલી શકે છે, પરંતુ એવું નથી."

શાહનવાઝ હુસૈને કહ્યું, "હિંદુ અને મુસ્લિમ હંમેશાં સાથે રહેતા આવ્યા છે. ન તો સંઘ અને ન જ ભાજપે ક્યારેય એવું વિચાર્યું છે કે બંને સાથે રહી શકતા નથી."

તેમણે કહ્યું કે આ મુદ્દે ઘણો ખોટો અને દુર્ભાવનાપૂર્ણ પ્રચાર કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે સંઘ પ્રમુખના નિવેદનથી જે સંદેશ ગયો છે, તેની વિશ્વભરમાં સકારાત્મક અસર પડી છે.

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે શનિવારે ન્યૂ યૉર્કમાં એક પરિષદ દરમિયાન કહ્યું હતું કે, "જે હિંદુ એવું માને છે કે મુસ્લિમોને ભારતમાંથી બહાર કાઢી દેવા જોઈએ, તે હિંદુ રહી જ શકે નહીં."

વિપક્ષી નેતાઓએ મોહન ભાગવતના નિવેદન પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે આ નિવેદનને અમલમાં પણ મૂકવું જોઈએ.

નેપાળ : ભોટેકોશી નદીમાં પૂરનાં પાણી વધ્યાં, રાહત બચાવકર્મીઓને સલામત રહેવા અપીલ

નેપાળ : ભોટે કોશી નદીમાં પૂરના પાણી વધ્યા, રાહત બચાવ કર્મીઓને સલામત રહેવા અપીલ

ઇમેજ સ્રોત, Reuters

નેપાળમાં રાસુવામાં ભોટેકોશી નદીમાં પૂરનો પ્રવાહ વધ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

નેપાળની નૅશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મૅનેજમેન્ટ ઑથોરિટીએ સાવચેતી માટેની અપીલ કરી છે.

તેમણે ઍક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે રાસુવા, નુવાકોટ, ધાડિંગ, ચિતવાન અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી કરતાં કાર્યકરોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે નેપાળમાં બુધવારે આવેલા ભીષણ પૂરમાં મૃત્યુઆંક વધીને 675 થઈ ગયો છે, જ્યારે 2400થી વધુ લોકો હજુ પણ ગુમ છે.

નેપાળની ડિઝાસ્ટર રિસ્પૉન્સ એજન્સીના જણાવ્યા અનુસાર, પૂરના પાંચમા દિવસે પણ નેપાળમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 675 થયો, 2400થી વધુ લોકો ગુમ

નેપાળ તિબેટ પૂર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Daniel CengAnadolu via Getty Images

નેપાળમાં બુધવારે આવેલા ભીષણ પૂરમાં મૃત્યુઆંક વધીને 675 થઈ ગયો છે, જ્યારે 2400થી વધુ લોકો હજુ પણ ગુમ છે.

નેપાળની ડિઝાસ્ટર રિસ્પૉન્સ એજન્સીના જણાવ્યા અનુસાર, પૂરના પાંચમા દિવસે પણ નેપાળમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.

આ દરમિયાન, ચીનની સરકારી બ્રૉડકાસ્ટર સીસીટીવી મુજબ, શનિવારે સાંજે છ વાગ્યા સુધીમાં તિબેટના શિગાત્સે શહેરના ગિરોંગ કાઉન્ટીમાં ભૂસ્ખલનથી 16 લોકોનાં મોત થયાં છે અને 546 લોકો ગુમ થયા છે, જેમાં 226 વિદેશી નાગરિકો પણ છે.

અમેરિકાએ પૂરથી પ્રભાવિત લોકો માટે 36 લાખ ડૉલરની સહાય કરવાની જાહેરાત કરી છે.

અમેરિકાના વિદેશ મંત્રાલય અનુસાર, આ સહાય હેઠળ 10 હજાર અસરગ્રસ્ત પરિવારોને ત્રણ મહિના સુધી આપાતકાલીન ખાદ્ય સહાય પૂરી પાડવામાં આવશે.

વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જણાવ્યું "અમેરિકન નાગરિકોની સલામતીથી ઉપર અમારા માટે કોઈ પ્રાથમિકતા નથી"

મંત્રાલયે એમ પણ કહ્યું કે નેપાળ અને ચીનમાં અમેરિકાના દૂતાવાસો અમેરિકન નાગરિકોને મદદ કરવા અને રાહત અને બચાવ પ્રયાસોને સહયોગ કરવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છે.

યુક્રેન: રશિયન ડ્રોનનો કિએવ પાસે આવેલ શસ્ત્રોના ગોડાઉન પર હુમલો, ઓછામાં ઓછા 37 લોકોનાં મોત

યુક્રેન: રશિયન ડ્રોનનો કિવ પાસે આવેલ શસ્ત્રોના ગોડાઉન પર હુમલો, ઓછામાં ઓછા 37 લોકોના મોત

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યુક્રેનમાં સેનાના શસ્ત્રોના ગોડાઉન પર રશિયન ડ્રોન હુમલામાં 37 લોકો માર્યા ગયા, લગભગ 400 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

આ શસ્ત્રોનો ગોડાઉન યુક્રેનની રાજધાની કિએવ પાસે એક રહેણાંક વિસ્તારમાં થયો હતો.

શુક્રવારે મોડી રાત્રે થયેલા હુમલામાં દારૂ ગોળા, લૅન્ડમાઇન અને ડ્રોનના વિસ્ફોટ થવા લાગ્યા હતા. તેના કારણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે વિસ્ફોટોથી વૃદ્ધો અને અપંગોની સંભાળ માટેના કેન્દ્ર સહિત આસપાસની ઘણી ઇમારતોને નુકસાન થયું છે.

રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે શસ્ત્રોનો આ ભંડાર આટલી મોટી વસ્તીની નજીક ન હોવો જોઈએ.

તેમણે કહ્યું કે આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે અને જેમણે નાગરિકોના ઘરોની આટલી નજીક વિસ્ફોટકો મૂક્યા હતા તેમની બેદરકારી દાખવવા બદલ તપાસ કરવામાં આવશે.

તાજેતરના મહિનાઓમાં કિએવ નજીક શસ્ત્ર ડેપો પર આ બીજો હુમલો છે, અને તેનાથી ફરી એકવાર લોકોમાં ગુસ્સો ભડકી ઊઠ્યો છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના દળોએ કિએવના પશ્ચિમમાં આવેલા માયલા ગામમાં એક દારૂગોળાના ગોડાઉનને નિશાન બનાવ્યું હતું.

રશિયાના જણાવ્યા અનુસાર, ગોડાઉનમાં એફપી-1 અને એફપી-2 લાંબા અંતરના ડ્રોન અને તેમના લૉન્ચ બૂસ્ટરના ભાગો હતા.

આ વિસ્ફોટથી ગામમાં લગભગ 130 ઘરોને નુકસાન થયું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન